once open a time - 155 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 155

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 155

1994માં દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મૃત્યુ પામ્યા એ વખતે અને પછી 1999માં દાઉદની માતા અમીના બેગમ કાસકરના મૃત્યુ પછી તેમની અંતિમ ક્રિયા વખતે દાઉદ હાજર રહી શક્યો નહોતો. જોકે દાઉદના માતા-પિતાનાં મૃત્યુ પછી તેમની અંતિમવિધિ વખતે હજારો માણસો ઉમટી પડ્યા હતા. અને પોતાના માતાપિતાની અંતિમવિધિનું શૂટિંગ કરાવીને દાઉદે કરાચીમાં વિડીયો કેસેટના માધ્યમથી એક એક ક્ષણની ગતિવિધિ જોઈ હતી. દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકરનું યુ.એ.ઈ.એ પ્રત્યર્પણ કર્યા પછી છ મહિના બાદ, 8 ઓકટોબર, 2003ના દિવસે, ઈકબાલ કાસકરે ‘મકોકા’ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે 11 ઓકટોબર, 2003ના દિવસે શબ્બ-એ-બરાત નિમિત્તે મને મારા માતાપિતાની કબરની મુલાકાત લેવાની મંજૂરી આપો, કારણ કે હું ક્યારેય મારા માતાપિતાની કબરની મુલાકાતે ગયો નથી. જોકે મુંબઈ પોલીસે ઈકબાલ કાસકરની એ અરજીનો વિરોધ કર્યો હતો.

ટૂંકમાં મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરાવવાની ગુસ્તાખીને કારણે દાઉદે તેના મનગમતા શહેર મુંબઈમાં નામનું નાહી નાખવું પડ્યું હતું. દાઉદને દુનિયામાં સૌથી વધુ કોઈ શહેર ગમતુ હોય તો એ મુંબઈ છે અને એ મુંબઈમાં જ બોમ્બ વિસ્ફોટ કરાવીને તેણે પોતાના પગ ઉપર કુહાડો ઝીંકી દીધો હતો. મુંબઈના બોમ્બ વિસ્ફોટ પછી દાઉદ માટે ખતરો વધી ગયો હતો. દાઉદે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ કરાવીને આઈએસઆઈની અને પાકિસ્તાની સત્તાધીશોની શાબાશી મેળવી હતી. પણ એ કૃત્ય તેના માટે ગળામાં ભરાયેલા હાડકાં સમાન સાબિત થશે એની કલ્પના ત્યારે દાઉદને નહીં હોય.

મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા એ પછી ટૂંક સમયમાં જ દાઉદે પાકિસ્તાન ભેગા થઈ જવું પડ્યું અને એ સમયથી દાઉદ આઈએસઆઈનું એક પ્યાદું બનીને રહી ગયો. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 9/11ના અલકાયદાના આંતકવાદી હુમલા પછી તો દાઉદની હાલત વધુ કફોડી બની ગઈ. દાઉદ અલકાયદા જેવા ખતરનાક ત્રાસવાદી સંગઠનને મદદ કરતો હતો. એ જાહેર થયા પછી પૂરતી માહિતી મેળવ્યા બાદ અમેરિકાએ તેને વૈશ્વિક આંતકવાદી જાહેર કર્યો હતો.

એ પછી ભારતે પાકિસ્તાન ઉપર દબાણ વધારવા માંડ્યું અને સીબીઆઈએ ફરી એક વાર દાઉદ વિશે ઢગલાબંધ માહિતી પાકિસ્તાનને પૂરી પાડીને કહ્યું કે દાઉદ પાકિસ્તાનમાં જ છે અને તેને ભારતના હવાલે કરી દો. સીબીઆઈ દ્વારા દાઉદની કરાંચીમાં પ્રોપર્ટીઝ, દાઉદના પાસપોર્ટસ તથા દાઉદ અને તેના મહત્ત્વના સાથીદારોના ફોન નંબર પણ પૂરા પડાયા હતા. સીબીઆઈએ દાઉદની જે પ્રોપર્ટીની યાદી આપી હતી એ તમામ પ્રોપર્ટીઝ કરાંચીમાં હતી. એ પ્રોપર્ટીસ આ પ્રમાણે હતી:

(1) એ 239, બ્લોક 13-સી, ગુલશન-એ-ઈકબાલ.

(2) 25, રુફી કોટેજ, બ્લોક 13 ડી, ગુલશન-એ-ઈકબાલ.

(3) અહમદી અપાર્ટમેન્ટ, ગુલશન-એ-ઈકબાલ.

(4) મેયમાર આર્કેડ, ચોથો માળ, ગુલશન-એ-ઈકબાલ.

(5) સી-201, કરાચી ડેવલમેન્ટ સ્કીમ, એક્ટેશન્સ, 1-એ.

(6) મોઈન પેલેસ, બીજો માળ, ગાઝી દરગાહ, ક્લિફ્ટન.

(7) ખયાબાન-એ-શમશેર, ડિફેન્સ ઑફિસર્સ હાઉસિંગ ઓથોરિટી.

આ ઉપરાંત ભારત દ્વારા દાઉદ ઈબ્રાહિમ અને તેના ખાસ સાથીદારો છોટા શકીલ તથા ફહીમ મચમચના ફોન નંબર પાકિસ્તાનને આપ્યા હતા. એ આ પ્રમાણે હતા.

+92 30024952

+ 92 21493034

+ 92 214930345

+ 92 214977077

+ 92 214937773

+ 92 21521504

+ 92 218117516

+ 92 21499507

આ સિવાય દાઉદના પાકિસ્તાની પાસપોર્ટ્સના નંબર સહિતની માહિતી પણ પાકિસ્તાનને અપાઈ હતી. એમ છતાં 12 નવેમ્બર, 2003ના દિવસે ફરી એક વાર પાકિસ્તાન દાઉદ વિશે જૂઠ્ઠાણું ચલાવ્યું. પાકિસ્તાનના માહિતી પ્રધાન શખે રશીદે નફ્ફટાઈથી કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નથી, નથી ને નથી!

ભારતે પાકિસ્તાનને દાઉદના પાસપોર્ટ નંબર્સ અનો ફોન નંબર્સ તથા તેની પ્રોપર્ટીઝની માહિતી આપી, પણ એનો કોઈ અર્થ સર્યો નહીં. પાકિસ્તાને દાઉદને અનેક પાસપોર્ટ બનાવી આપ્યા હતા એવું ભારતે પુરાવા સાથે કહ્યું પણ ભારતમાંથીય દાઉદે અનેક પાસપોર્ટ મેળવ્યા હતા. દાઉદે ભારતમાં માત્ર મુંબઈ પાસપોર્ટ ઑફિસમાંથી જ આઠ પાસપોર્ટ મેળવ્યા હતા! દાઉદનો પહેલો પાસપોર્ટ 13 નવેમ્બર, 1978ના દિવસે બન્યો હતો. જેનો નંબર એમ-110552 હતો. દાઉદનો બીજો પાસપોર્ટ 26 નવેમ્બર, 1981ના દિવસે બન્યો હતો, જેનો નંબર હતો, આર-841697. દાઉદનો એક પાસપોર્ટ 30 ઓકટોબર, 1983ના દિવસે બન્યો હતો, જેનો નંબર વી-57865 હતો. એ પછી 4 જૂન,

1985ના દિવસે દાઉદે એ-333602ના નંબરનો પાસપોર્ટ મેળવ્યો હતો. ત્યાર બાદ વળી દોઢ જ મહિના બાદ 27 જુલાઈ, 1985ના દિવસે તેણે એ-501801 નંબરનો પાસપોર્ટ મેળવ્યો હતો. વળી તેણે 2 ઓગસ્ટ, 1989ના દિવસે એફ-823692 નંબરનો પાસપોર્ટ મેળવ્યો હતો. આ ઉપરાંત ભૂતિયા નામથી દાઉદે અનેક ભારતીય પાસપોર્ટ મેળવ્યા હતા અને તેના ખાસ સાથીદારોને પણ આ રીતે અનેક પાસપોર્ટ અપાયા હતા. પાકિસ્તાનના સત્તાધીશોએ ‘દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં નથી’ એવું રટણ ચાલુ રાખ્યું. બીજી બાજુ તેમણે દાઉદને સતત જગ્યા બદલતા રહેવાની ફરજ પાડી. દાઉદ માટે કરાચીમાં ક્લિફટન વિસ્તારનો કુશાંદે બંગલે છોડીને ક્યારે પેશાવર તો ક્યારેક અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદ નજીકના નગરોમાં આશ્રય લેવાની નોબત ઊભી થઈ.

આ દરમિયાન દાઉદને આનંદ થાય એવા એક સમાચાર તેને ઈન્ડોનેશિયાથી મળ્યા. જો કે દાઉદ એ સમાચારની ખુશી બહુ લાંબા સમય સુધી મનાવી શક્યો નહીં!’

(ક્રમશ:)