Maansaaina Diva - 23 books and stories free download online pdf in Gujarati

માણસાઈના દીવા - 23

માણસાઈના દીવા

( 23 )

તીવ્ર પ્રેમ

ઝવેરચંદ મેઘાણી

હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જ‌ઉં છું."

"કંઈ જશો ?"

"મારા મુલકમાં."

"નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં.

"મારાથી ના રહેવાય."

"ચ્યમ વારુ ?" મહારાજનો સંગ છોડવો એ કઠિન હતું.

"હું અહીં ના રહી શકું. તમારે ને મારે સંબંધ બંધાયો; આપણાં દલ મળ્યાં. હવે મારાથી તમારાં દુઃખ નાજોવાય."

"શાનાં દુઃખ ?"

"દુઃખ એ કે - તમે ચોરી કરો, દારૂ પીઓ, તોફાન કરો... તમને પોલીસ પકડે, મારકૂટ કરે ... એ મારાથી દીઠું જાય નહીં."

"ઈમ હોય તો અમે ચોરી ના કરીએ, દારૂ ના પીએ, પણ તમને તો જવા નહીં જ દઈએ. એ વાત કરશો જ ના, મહારાજ."

મહારાજ ચાલ્યા જાય છે એ સમાચાર લોકોને અસહ્ય હતા. ટોળાં ને ટોળાં એકઠાં થયાં. એક જ વેણ ગાજી રહ્યું: 'નહિં જવા દઈએ. તમારે એમ હશે તો અમે ચોરી-દારૂ છોડી દેશું.'

***

૧.કામળિયા તેલ

ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામૂહિક નિશ્ચય કરવા માટે એક દિવસ નક્કી થયો. લોકો મળ્યાં. ચોરી કોઈએ કરવી નહીં અને છતાં જો ચોરી થાય તો તેની સરકારમાં કોઈએ ફરિયાદ કરવી નહીં. મહારાજ અને ગામલોક મળીને એ ચોરી અને ચોર ઘરમેળે ખોળી કાઢે અને નુકસાની થઈ હોય તેની ભરપાઈ કરવા મહેનત લ્યે : એવો ઠરાવ થયો.

"દારૂ નપીવો એ તો ઠરાવ્યં પણ સ્થાનિક કલાલનાં પીઠામાં દારૂ પડ્યો છે તેનું શું ?" કલાલો કહે કે, "અમે પીઠાં બંધ કરીએ, પણ ઇજારાની મુદત હજુ બાકી છે, દારૂનો જથ્થો હજુ પડ્યો છે તેનું શું ?"

"તે તો આપણે ખરીદી લઈએ, મહારાજ !" લોકોએ માર્ગ દેખાડ્યો.

"ને પછી ?"

"પછી વરી શું ! અમે એ બધો પી વારીએ !"

સર્વના હાસ્ય વચ્ચે મહારાજે કહ્યું કે, "ના, એમ તો ના કરાય. તમે કહો તો આપણે એ જથ્થો બહાર લઈ જઈને સામટો બાળી દઈએ."

લોકોને મહારાજનું સૂચન વિચિત્ર લાગ્યું. દારૂને બાળી દેવા કરતાં પી જવો શું ખોટો ? તેઓ મહારાજના દૃષ્ટિબંદુને સમજ્યાં તો હોય કે ન હોય, પણ પવિત્ર પુરુષનું કહેવું કબૂલ રાખીને બોલ્યાં : "વારુ, જાઓ, ત્યારે તેમ કરીએ."

તમામ જથ્થો કલાલ પાસેથી ખરીદાયો, અને બાળવાની તજવીજ થઈ. સાંભળી ફોજદારે મહારાજને જાણ કરી કે, "દારૂ સામટો ખરીદવો એ પણ ગુનો છે, ને બાળવો તે પણ ગુનો છે."

"તો તો અમે તમામ ગામલોકો એ ગુનો કરવામાં સામેલ થઈશું." લોકોને ઉલ્લાસ ચડ્યો.

મહારાજ કહે કે, "નહીં, એ ગુનો હું એકલો જ કરીશ."

પછી તો એ દારૂના જથ્થાને સીમમાં ભોંય પર ઢોળીને અંદર મહારાજે દિવાસળિ ચાંપી. વેંત-વેંતના ઊંચા બળતા ભડકાને મહારાજ ઊભા ઊભા નિહાળી રહ્યા. "ખરેખર શું આ દાનવ સદાને માટે સળગી જાય છે !' - એમના અંતરની વિમાસણ હતી. એ જ રીતે કઠાણાનો, ખટલાલનો ને સારેલાનો દારૂ બાળ્યો. ને પછી લોકોની ઠઠ વચ્ચે બેઠેલા મહારાજની સનમુખ એક પ્રતિનિધિ આવ્યો. એના હાથમાં એક રાતાચોળ રંગના પ્રવાહીની ભરેલી શીશી હતી. એણે કહ્યું : "લો, મહારાજ."

"શું છે ?"

"આ તમારા માથામાં ઘાલો."

આ તે શું રોનક ! માથામાં તો મૂંડો છે, બે તો ફક્ત કપડાં પહેરું છું, એક ટંક ખીચડી ખાઉં છું - ને આ લોકો માથામાં તેલ નાખવા કહે છે !

"અરે, માથામાં ઘાલો, ઘાલો, મહારાજ !" લોકો ટહુકી ઊઠ્યાં : "આ તો અમે ખાસ માણસ મોકલીને શહેરમાંથી બાર આનાની શીશી મંગાવી છે - તમારા માટે જ મંગાવી છે. તમે જાણો છો - આ શું છે? આ તો છે કામળિયા તેલ !"

કામળિયા તેલ ! શીશી ઉપર કમ્મરે ઢળતા કેશવાળી એક સુંદરીનું ચિત્ર છે! તેલ મહેકી રહ્યું છે. એ 'કમિનિયા હૅર ઑઇલ' ! ઉત્સવ ટાણે બીજાંઓ અત્તરો લગાવે : આ ગામડિયાએ 'કામળિયા તેલ'ને અત્તર ગણ્યું, ને આ ઉપકારકને એ 'કામળિયા તેલ'નો અધિકારી ગણ્યો ! "હાં, આ તો છે કામળિયા તેલ ! શહેરમાંથી ખાસ મંગાવીને આણ્યું છે ! ઘાલો માથામાં !" બોલતાં ગામડિયાંનાં ગળાં ને ગાલ - બંને ફૂલ્યાં.

મોં મલકાવીને મહારાજે શીશી બાજુએ મુકાવી, 'કામળિયા તેલ' - એટલે કામિનિયા હૅર ઑઇલ - અને એના ઉપર ચિત્રમાં ઊભેલી લંબકેશી કામિની : એ બેઉની સૌ પિછાન તે દિવસે થઈ. એ પિછાનને મહારાજ હજુ પણ ભૂલ્યા નથી. આજે પણ 'કામળિયા તેલ'નો કિસ્સો કહેતાં એ ખડખડ હસી પડે છે અને લોકો કરતાં તેવો જ લહેકો કરી કરીને કહે છે _ "કામળિયા તેલ છે : માથામાં ઘાલો, મહારાજ !"

***

૨.’જંજીરો પીઓ !’

એક આ 'કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ 'જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે :

ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો '૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ 'નરવાનું ગામ' હતું, એટલે એની જમીન તો વેચાય નહીં. ઠાકરડાનાં જે બધાં ખોરડાં સાફ થઈ ગયાં તે હવે પાટીદાર માલિકો તો ફરીથી મફત કરવા આપે નહીં. 'નવાં કરવાં હશે તો તમારે ઘર દીઠ માસિક રૂ. અઢી ભાડું આપવું પડશે' એમ કહીને પાટીદારો ઊભા રહ્યા. ઠાકરડાને સ્વજનો ગણનાર મહારાજે કહ્યું કે, "ના, આપણે ભાડું આપવું નથી આપણે તો બે વીઘાં જમીન વેચાતી લઈને તે પર ફરી બધાં ઘર બાંધીએ."

"બે વીંઘાના રૂપિયા નવ હજાર." પાટીદારો એમ કહીને ઊભા રહ્યા !

"ખેર !" કહી મહારાજ વડોદરે જઈ ગામ બહારની બે વીઘાં ઉત્તમ જમીન સરકાર પાસેથી મફત મેળવી લાવ્યા. તેના પર ઠાકરડાઓનાં ખોરડાં ચણવાનાં હતાં, ત્યાં તો મહારાજને જેલમાં જવું પડ્યું. પાછળથી ઠાકરડાઓને દબાવી સરકારમાં એવી અરજી કરવામાં આવી કે, અમારે એ જમીન નથી જોઈતી. મહારાજ છૂટીને આવ્યા. જમીન લેવરાવી. ખોરડાં કરાવ્યાં. પછી ઠાકરડાઓએ એકઠા થઈ મહારાજને માન આપ્યું. પછી ઠાકરડાના મુખી પોતાની પાસે પછેડીમાં લપેટી રાખેલી એક બાટલી ધીરે ધીરે, કોઈ જીવની જેમ જાળવેલી ચીજ હોય તેવી અદાથી, બહાર કાઢી અને મહારાજને કહ્યું : "લો, મહારાજ, આ પીવો."

"આ શું છે ?" આવી વસ્તુઓથી અજાણ પરોણાએ એ બાટલીને જોઈ-તપાસીને ગમ ન પડવાથી આશ્ચર્યભેર પૂછ્યું.

"એ જંજીરો છે - જંજીરો ! પીઓ તમ-તારે !" મુખીએ કહ્યું અને બીજા સૌએ સૂર પૂરાવ્યો : "હા, પીઓ, મહારાજ."

"શા સારું પીઉં ?"

"એ પીવાથી તાવ ન આવે , ને શરીર ટાઢું હેમ પડી જાય."

"પણ મને તાવેય આવતો નથી, ને શરીર ટાઢું જ છે."

"અરે પીઓ, પીઓ ! તમારે સારુ ખાસ મંગાવી આણી છે."

જંજીરો ! જંજીરો વળી શું ? સોડા-લેમન વગેરે શહેરી પીણાંના જેવા કોઈક પીણાની આ શીશી હતી. મહારાજને કંઈક સમજ પડી : જંજીરો ! જીંજર ! પછી પોતે કહ્યું : "એ ફોડી નાખો."

"અરે, પૈસા દેવા પડે."

"તો ઢોળી નાખો."

"કેમ વળી ?"

"આવું શા સારુ પીઉં ? તમે આ શહેરી છંદે ક્યાંથી ચડ્યાં ? આમાં શું બળ્યું છે ? રોટલા તો પૂરા પામતા નથી ને જંજીરો પીતાં શીખ્યાં ? ઢોળી નાખો."

"ના, ઢોળવી શીદ પડે ? આ છોકરો પી જશે."

ખસિયાણા પડેલા ઠાકરડાઓએ એ જીંજર એક બાળકને પાઈ દીધી.

વળતે દિવસે સૌ બેઠા હતા, ત્યાંથી એક ઢેડની છોકરી નીકળી. એના એક હાથમાં એક બાટલી હતી.

"જુઓ મહારાજ !" ઠાકરડા બોલી ઊઠ્યા : "જંજીરો તો આ ઢેડાં પણ પીએ છે. એંહ, જુઓ આ ઢેડની છોકરી પણ પીશે."

ફરી ફરી મહારાજના પેટમાં પ્રશ્ન ઊઠયો : આ ઝેર અહીં ગામડાંમાં કોણે પેસાડ્યું !

***

૩.પાડો પીનારી ચારણી !

મહી-સાગરને વેગળાં મૂકીને પાછા ચાલ્યા. વાલવોડ ગામે આવ્યા. વાલવોડ એ મહારાજના પ્રિય પાતણવાડિયાઓનું મોટું મથક, તદુપરાંત ચારણોનું એ જાણીતું ધામ. મહેડુ અને દેથા શાખના દેવીપુત્રોની અહીં મોટી વસ્તી છે. અને એ ચારણો સાથે મહારાજને પડેલો પ્રસંગ પણ લાક્ષણિક છે. વર્ષો પૂર્વે અહીં પોતે આવેલા ત્યારે મુખીએ કહેલું કે, "અહીં ચારણી સૂરજબા છે ના, તે જોગમાયા છે અને પાડાનું લોહી પીએ છે. કોઈક દિવસ એવો પ્રસંગ બનશે ત્યારે તમને તેડાવીશું." "સારું" એમ કહીને મહારાજે તે વાતમાં કશો રસ નહીં બતાવેલો. પણ પછી એક વાર બોરસદમાં પરિષદ હતી, મહારાજને એનું પ્રમુખપદ લેવાનું હતું. તે જ વખતે વાલવોડના મુખીનું તેડું આવ્યું : "બહુ જરૂરી કામ છે, તરત આવો.'

પેલી રુધિર પીવાની વાત તો મહારાજને સ્મરણમાંય નહીં રહેલી, એટલે બીજું કંઈક તાકીદનું તેડું માની પોતે વાલવોડ પહોંચ્યા.

મુખી કહે કે, "મહારાજ, આવતી કાલે સૂરજબા જોગમાયા પાડો પીવાનાં છે, તેથી તમને બોલાવ્યા."

સાંભળી મહારાજ અતિ ગમગીન બન્યા. પણ પછી તો આ ત્રાસદાયક ઘટના અટકાવવાની ફરજ વિચારી પોતે રોકાયા. પછીની વાત મહારાજના જ શબ્દોમાં સાંભળીએ :

"જે મંદિરે ચારણો પાડાનો વધ કરવાના હતા તેના પુરોહિતને જઈ પૂછતાં એ કહે કે, 'મને તો કંઈ ખબર જ નથી. હું એ નહીં જ બનવા દઉં.' પછી મુખી પાસે ગયો ને કહ્યું : 'આ ભયંકર કામ હું નહીં થવા દઉં.' એ પણ કહે કે, 'અરે, શી વાત છે ! હું થવા દઉં જ નહીં ને ! એની મગદૂર નથી કે સરકારના કાયદા વિરુદ્ધ કરી શકે.' એટલામાં તો માતા સૂરજબા પોતે જ ત્યાં આવીને ઊભાં. ખરેખર એ યુવાન ચારણ તેજસ્વી હતી. એણે તો આવતાં જ ત્રાડ દીધી : 'કેમ, મુખી, કેમ હજી ઢોલી નથી આવ્યો ? શી વાર છે ?" મુખી તો રાંકડો બનીને બોલ્યો : 'હા, માતાજી ! હમણાં - હમણાં જ ઢોલીને તેડાવું છું.' મારી કને મારેલી ડંફાસો તો ચારણીની એક જ ત્રાડે ઓલવાઈ ગઈ.

"પછી ઢોલ વાગ્યો. મને ખબર પડી કે સરઘસ નીકળ્યું. હું ત્યાં જઈ પહોંચ્યો. જોઉં છું તો આગળ એક નાનો પાડો, એને ગળે ફૂલની માળા. એની પાછળ નાની છોકરીઓનું ટોળું, એની પાછળ મોટી, એની પાછળ વૃદ્ધાઓ : એ બધી શું સુંદર રાગે ગાતી હતી ! એ સૂરો તો હજુય ફરી ફરી ફરી સાંભળવાં ગમે. પાછળ નાનામોટા ચારણો : નવા પોશક પહેરેલા, રંગબેરંગી ફેંટાનાં છોગાં લહેરાય, અને હાથમાં ઉઘાડી તલવારે. જેવાંતેવાંનાં તો હાજાં ગગડાવી નાખે તેવું એ ભયોત્તેજક દૃશ્ય હતું.

“એમાં એકાએક પેલા મંદિરનો પુરોહિત નારદજી દોડ્યો આવ્યો. એણે સરઘસ આડા ફરીને કેટલાય શાપો સંભળાવ્યા. પણ પાડાને લઈને સરઘસ તો ચાલ્યું જ ગયું. મને ખબર નથી પડતી કે મને શું થયું, પણ હું પાછળ ને પાછળ ચાલ્યો. સરઘસની પાછળ પાછળ મંદિરે પહોંચ્યો. બહાર મોદ (બૂંગણ) પથરાવીને ચારણો બેઠા હતા. મેં જઈને તેમને હયું કે, 'આ પાડાનો વધ શું ન અટકે ?' મને જવાબ મળ્યો : 'અટકે, બાપ ! - શા સારુ ન અટકે ? માતા છે : એની મરજી હોય તો ના કહી શકે છે. જાવ, પૂછો જઈને મંદિરમાં.'

“મંદિરમાંથી ગાણાંના સૂર આવતા હતા. હું મંદિરમાં દાખલ થયો એટલે ડોળા ઘુમાવતાં ચારણી સૂરજબાએ મને ત્રાડ દઈ પૂછ્યું : 'કેમ આવ્યો છે અહીં ?”

“મેં કહ્યું : 'પાડો ન મારો એમ કહેવા આવ્યો છું.'

“માતા ડોળા ઘુમાવીને તિરસ્કારથી બરાડ્યાં : 'જા, જા : નૈ તો તને જ ખાઈ જઈશ.'

“મેં કહ્યું : 'મને ખાવો હોય તો ખુશીથી ખાવ, કારણ કે હું મારી ઇચ્છાથી આવ્યો છું, પણ પાડાને શીદ મારો છો ? એ તો અનિચ્છાએ આવ્યો છે.'

“મારી વાત સાંભળી યુવાન ચારણીએ ભભૂકીને કહ્યું : 'છોકરીઓ ! ભરખો આને.' એમ કહેતાં તો ચારણી કન્યાઓ મને ચોંટી પડી. મારાં કપડાં ફાડી નાખ્યાં; મારે હાથે બચકું ભર્યું. મને તો લોહી ચાલ્યું જાય. મારી શી દશા થાત એ કોણ જાણે પણ હું જ્યારે સર્તઘસ પાછળ ચાલેલો તે જ વખતે મારા પાટણવાડિયાઓ મને જોઈ, કંઈ વિપરીત બનવાની શંકાથી, પાછળ દોડેલા. સુભાગ્યે તેઓ પહોંચે અને મને લોહીલોહાણ દેખી તોફાન મચાવી મૂકે તે પૂર્વે બહાર બેઠેલા ચારણો દોડતા આવ્યા. તેમણે મને ઊંચકીને બહાર મૂકી દીધો. હું ફરી વાર જવા કરતો હતો તે વખતે ચારણોએ કહ્યું : 'હવે જઈને શું કરશો ? પાડો તો વધેરાઈ ગયો.'

“મને ખબર પડી કે એ સૂરજબા ચારણી ત્યાં કાપેલા પાડાનું અધમણ લોહી પી ગઈ હશે !

“ચારણોનો ગામે બહિષ્કાર કર્યો. હું બોરસદ ચાલ્યો ગયો. પછી મેં એક દિવસ આ વાત ગાંધીજીને કહી. એમણે મને કહ્યું : 'તેં ખોટું કર્યું. તેં હિંસા કરી. એ લોકોને તેં કદી જઈને સમજાવ્યાં નહોતાં, એમની માન્યતા બદલાવવાનો તેં કદી પ્રયત્ન કર્યો નહોતો ને સીધા જઈને એમના પર આ હિંસાનો પ્રયોગ કર્યો ! તારે જઈ તેમની સામેનો બહિષ્કાર તો ઉપડાવવો જોઈએ.'

“એક વર્ષે હું વાલવોડ ગયો. મેં બહિષ્કાર ઉપાડી લેવા ગામવાળાં સૌને સમજાવ્યાં ત્યારે ગામમાં બે-ચાર વાણિયા હતા તેઓ કહે : 'નહીં, અમે ચારણનો દંડ લઈશું !'

“મેં કહ્યું : 'મોઢાં તમારાં ! આ ચારણો તો મરણિયા લોકો છે : 'એમની પાસેથી તમે શું દંડ લેવાના હતા ? તમે શું કરી શક્યા છો ? આબરુભેર બહિષ્કાર ઉપાડી લો.' “

આમ આ પ્રવાસ દરમ્યાન તેમ જ પ્રવાસ પૂર્વેની વાતોમાં મહારાજે જે કંઈ ઘટના વર્ણવી તેમાં એમનો દૃષ્ટિદોર એક જ હતો કે લોકોની પ્રકૃતિ અને તેમનું લોકમાનસ તાંતણે તાંતણે ઉકેલીને મને બતાવવું. આ ખરું ને આ ખોટું, આ સારું ને આ નરસું - એવા ભેદ પાડ્યા વિના તેમણે આ લોકો ક્યાં ક્યાં તત્ત્વોનાં બનેલાં છે તેની જ સમજ પાડવા પ્રયત્ન કર્યો. 'બાળક જેવા' : એ એમના કથનનો પ્રધાન સૂર હતો. એનો એક પ્રસંગ ટાંકીને અમારા આ પ્રથમ સંપર્કનો ખજાનો ખલાસ કરું છું.

***

૪.તોડી નાખો પુલ !

સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછીત પડી ગઈ. પછી કરો પડ્યો. પણ ઘરનાં સૌ મહારાજની પાસે જ બેઠાં રહ્યાં. “અરે ભાઈ, ઊઠો ને તમારે ટેકણબેકણ મૂકવાં હોય, ઘરવખરી ફેરવવી હોય, એ કરવા લાગો !” પણ મહારાજને આગલા દિવસનો ઉપવાસ, તેનું પારણું કરાવવાની પહેલી ચિંતા. સવારે ખીચડી કરાવી ને કેરી હતી તે આપી. પારણું કરાવીને મહારાજને બીજે મોકલી દીધા. પાણી તો ચડતું જ ગયું.

છેવટે પાણી એટલું ચડ્યું કે ગામને બોળી દેશે એવી ફાળ પડી. એટલું પાણી શાથી ચડે છે ? આનો કોઈ ઇલાજ નથી ? પાટણવાડિયાઓએ આવીને કહ્યું કે, “ઇલાજ છે : રેલવેની સડકનું નાળું જો તૂટે તો પાણીને મારગ મળે. હેં મહારાજ ! ધર્મજના સ્ટેશન માસ્તરને પૂછીને તોડી નાખીએ ?”

“ના રે, એ તે કાંઈ હા કહે ! જાવ તોડી નાખોને તમ-તમારે.”

નાળું લોકોએ તોડ્યું. પાણી ધર્મજ તરફ વળ્યું. ધર્મજની પરબડીએ જતું અટક્યું. આમ સુંદરણા સલામત બન્યું, એટલે મહારાજ પોતે જ્યાં રહેતા તે ગામ વટાદરાની ચિંતાથી ત્યાં જવા ઊપડ્યા. અનરાધાર મે' : રસ્તે ચાર-પાંચ ઊંડી નાળ્યો : એ નાળ્યો ઓળંગાય નહીં. પોતે ચાર-પાંચ ગાઉના ફેરમાં ખેતરોમાં થઈ વટાદરા પહોંચ્યા. જઈને જુએ તો પાટણવાડિયાના એકસો ઘરના મહોલ્લામાંથી ફક્ત ચાર ઘર ઊભાં હતાં ! જોઈને આંખોમાં આંસુ આવી ગયાં.

લોકો બૈરાં-છોકરાં સહિત એ ખંડેરો વચ્ચે ઊભાં છે. પાણી ચડતું જાય છે. ઉગાર નથી. મહારાજે લોકોને કહ્યું : “ખેતરમાં ચાલ્યા જાવ.”

“પણ અમારા માલથાલ ?”

“એની સંભાળ હું રાખીશ.”

ખેતરોમાં જવા માટે એક સાંકડી નાળ્ય હતી, તે છલોછલ, પ્રલયના કોગળા ઉડાડતી ધોધમાર ચાલી જતી હતી. ઊતરાય શી રીતે ? મહારાજે દોરડું મંગાવ્યું. પોતે એક કાંઠે એક છેડો બાંધી સામે કાંઠે તરી જઈ બીજો છેડો બાંધ્યો. ત્યાં તો દોરડા પર પાણી ચડી ગયું. પોતે વચ્ચે ઊભા રહ્યા, ને એક પછી એક માણસને દોરડાને ટેકે ટેકે પાર ઉતરાવતા ગયા. સૌ ક્ષેમકુશળ કાંઠે ઊતરી ગયાં તે પછી પોતે ગામમાં ચોકી કરવા રાત બધી ઊભા રહ્યા. મહારાજ ન હોત તો લોકોનો બચાવ ઈશ્વરના હાથની જ વાત બની જાત.

વળતે દિવસે પોતે ગામના શેઠ ચુનીલાલના પાકા મકાનમાં ચાલ્યા ગયા. પાણીનો પ્રલેકાર ઓછો થતો ગયો. ચાર દિવસે વરુણદેવે પ્રકોપ શમાવ્યો. પાંચમે દિવસે એ શેઠનો માણસ, જે બંધાણી હતો, તે અફીણ લેવા ખંભાતના કાંધરોટી ગામે ગયેલો, તેણે પાછા આવીને વાત કરી :

“કાંધરોટી વગેરે ગામનાં લોકો કહે છે કે, અમને બધાંને તો મહારાજે બચાવ્યાં ! - નહીં તો અમારો નાશ થઈ જાત. શી રીતે બચાવ્યાં ? તો કહે કે, 'મહારાજ કાંસા (પાણીનો જબરદસ્ત મોટો વોંકળો) પર થઈને પાણી માથે હીંડતા હીંડતા આવ્યા તે અમોએ દીઠા : પાણી પર હીંડતા આવે છે : ફક્ત ટોપી પલળેલી, લૂંગડાં તો તદ્દન કોરાં. આવીને અમને કહે કે બીશો નહીં, કંઈ નહીં થાય ટેકરા પર ચડી જાવ. એમ હિંમત આલીને પાછા પોતે પાણી પર હીંડતા હીંડતા ચાલ્યા ગયા.' ને એ લોકો તો અહીં મહારાજને પગે લાગવા આવનાર છે !”

શેઠ કહે : “હેં મહારાજ ! સાચી વાત ?”

“શાની - ધૂળની સાચી વાત ?” મહારાજે હસતે હસતે કહ્યું : “પાંચ દિવસથી અહીં જ છું તે તમે તો જાણો છો !”

“પણ એ લોકો કહે છે ને ?”

“છો કહે.”

મહારાજે વધારે કંઈ ખુલાસો કર્યો નહીં. પણ આંહીં વટાદરામાં જ બેઠેલાને પોતાને છેક કાંધરોટીવાળાં લોકોએ શી રીતે ત્યાં કાંસા પર ચાલતો, ચોક્ક્સ પોશાકે આવેલો અને ચોક્ક્સ શબ્દો બોલતો જોયો તે વિશે વિચારમાં પડ્યા. એમાં તે જ દિવસે સાંજે એક નાનકડી બાબત બની : શેઠનું ડેલું હતું, તેની અંદર ઘોડી બાંધી હતી. ઘોડી પગ પછાડે. ઘાસ વિનાની હશે તેમ સમજી મહારાજે પૂળો નાખવા ડેલું ઉઘાડ્યું. ડેલામાં આગળ બે બળદ બાંધેલા. મહારાજ તો અંદર જઈને ઘોડીને પૂળો નાખી, પાછા આવી, ડેલું બંધ કરી બેસી ગયા. શેઠે ત્યાં બેઠે બેઠે આ બધું ચુપચાપ જોયું. પછી શેઠે થોડી વાર રહીને કહ્યું : “હેં મહારાજ ! જૂઠું શીદને બોલો છો ?”

“શીનું જૂઠું ?”

“તમે કાંધરોટીવાળાઓને પરચો પૂર્યો હોવો જોઈએ.”

“કેમ ?”

“કેમ શું ? - આ બળદ, જે કોઈ ડેલામાં પેસવા ન દે, તેણે ન તો તમને માર્યા કે ન તમારી તરફ માથું હલાવ્યું !”

મહારાજ હસી પડ્યા : “જેને આ માણસે ચમત્કારિક શક્તિ કલ્પી તે વસ્તુતઃ સ્વાભાવિક બાબત હતી. પશુનો સ્વભાવ છે કે જે એને મારકણો જાણતો હોય, અને એમ જાણીને એનાથી જરીકે ડરીને ચાલે, તેને એ મારવા દોડે, પણ હું તો બળદ મારકણો છે એના લેશ પણ ખ્યાલ વગરનો, એટલે બળદે મને છેડ્યો નહીં. એને પણ આ તો મારો ચમત્કાર માની બેઠો છે !”

પણ વળતે દિવસે તો કાંધરોટીનાં લોકો ટોળે વળી આવી પહોંચ્યાં, ને મહારાજને પગે પડી ગયાં. બોલ્યાં કે "મહારાજ, તમે ન આવ્યા હોત તો અમે ખલાસ થઈ જાત.”

મહારાજે મક્કમપણે કહ્યું : “ભાઈઓ, હું ત્યાં આવ્યો જ નથી, ને હું કશો ચમત્કાર જાણતો નથી. હું પાણી ઉપર ચાલી શકું નહીં. તમને ભ્રમણા થઈ છે.”

એ કશું જ ન માનનારાં લોકો પગે લાગી પાછાં વળ્યાં. ને મહારાજના અકળાયેલા મનમાં લોકોની આ માન્યતાનો એક ખુલાસો છેવટે તો આટલો જ વસ્યો છે કે, 'અતિ તીવ્ર પ્રેમ અતિ ઉગ્ર અવસરમાં સામા માણસને આપણું આવું માનસિક દર્શન કરાવતો હોવો જોઈએ'.

તીવ્ર પ્રેમ.

આ આખા પુસ્તકનો સાર એમાં આવી રહે છે :

તીવ્ર પ્રેમ.

***