" વડલો"
બાપુજી, રોજની જેમ જ ઘરની પાછળ આવેલાં વડલા નીચે બેઠાં- બેઠાં મલકતાં હતાં. દીકરાની વહુઓ તો ઘણી વાર હસતાં-હસતાં કહેતી પણ ખરા કે આ તો અમારાં "વડસાસુ" છે. બાપુજીની કોણ જાણે કેટલી અને કેવી લાગણી આ વડ સાથે જોડાયેલી હશે કોને ખબર પણ બાપુજીને વડ સિવાય ક્યાંય ચેન જ ન પડે. આમ પણ ઘર તો મીણામાનાં ગયા પછી બંને રીતે ખખડી ગયું હતું! સવારનાં વડની ચીરીનાં દાતણથી લઈ, વડલા નીચે મુકેલ છીપર પર નાહવાનું, વડલા નીચે જ રોજ જમવાનું અને રાતે એકાદ બાળકને સાથે લઈ પોતાનો ઢોલિયો ઢાળીને સુવાનું પણ ત્યાં જ!
દાદાજી અને વડલો આમ પણ સરખાં-વસ્તારથી લઈને વડવાઈ સુધી અને આપવાથી લઈને સ્થિતપ્રજ્ઞતા સુધી. દસ વર્ષથી બધાં જ કહેતાં કે ભગત હવે દીકરા ભેગાં નવા મકાને રહેવા જતા રહો. આ ઘર તો ગમે ત્યારે પડી જશે. " હવે તો આ ઘર પણ ગમે ત્યારે પડી જવાનું તો એ ઘરની તો શું વાત કરવી", એમ કહી બાપુજી ખડ-ખડ હસી પડતા.
ઘણીવાર સરપંચ તેને પૂછતાં કે, " ભગત એકનાં એક વડલે તમને હું ૩૦ વર્ષથી જોઉં છું. તમે આનાથી કંટાળી નથી જતાં?" " તમે કોઈ પૈસાથી કંટાળો છો?", કહી બાપુજીએ તેની બોલતી બંધ કરી દીધેલી.
આજ સવારથી બાપુજી બેચેન હતાં. આવું તો મીણામા ગુજરી ગયા ત્યારે કે તેમનાં દીકરાઓ નવા ઘરે રહેવા જતા રહ્યા હતા ત્યારે કે તેઓ બાપુજીને ક્યારેય અમારી સાથે રહેવા આવી જાઓ એવું કહેવા નહોતા આવ્યા તો પણ નહોતું થયી. સતત અને સખત અજંપો! સવારથી જ સતત ગામનાં લોકો વાવાજોડાની વાતો કરી રહ્યાં હતાં. બધાને એ ચિંતા હતી કે ભગતનું ઘર પડી જશે. કેટલાક લોકોએ તો કહ્યું પણ ખરાં પણ ભગતે જરાય ધ્યાન દીધું નહીં. " બહારનું વાવાજોડું હવે મને નોધારો નહીં બનાવી શકે", એમ કહી ભગત હસ્યા.
ધીરે- ધીરે પવને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. બધાં સૌ-સૌનાં ઘર ભેગા થયાં. બધાં બારણાઓ ટપોટપ બંધ થવા લાગ્યા. ભગતના ઘર પર આવતાં પવનની આડે વડલો પર્વત થઈને ઉભો હતો. અડધી રાતે પવન વિનાશક રૂપ ધારણ કરી ચુક્યો હતો. છોકરાઓ આવીને બાપુજીને ઘરે આવવાનું કહી ચૂક્યાં હતાં પણ તેઓ માન્યા નહીં. વહેલી સવારે ઉઠીને બધાએ જોયું તો જમીનદોસ્ત થયેલો વડલો બાજુમાં સૂતેલા બાપુજીની આંખમાં સ્થિર થઈ ગયો હતો.
-કનાલા ધર્મેન્દ્ર અરજણભાઈ
સાવરકુંડલા
મો.નં. ૯૯૯૮૩૨૦૦૪૫